જે વિધાર્થીને પરીક્ષામાં ચોરી કરવા બદલ શિક્ષકે કાઢી મુકયો હતો તેને સરમણ મુંજાના કહેવાથી ફરી પરીક્ષા આપવા બેસવા દિધો. એટલુ જ નહીં પરંતુ જેટલો સમય વિધાર્થીનો બગડયો હતો એટલો સમય સરમણ મુંજાના કહેવાથી શિક્ષકે પરીક્ષા પૂર્ણ થયા બાદ વધારીને લખવા આપ્યું.  જીવનમાં કયારેક પોતે ન કરેલી ભૂલને કારણે વ્યકિતએ  સહન કરવાનો વારો આવતો હોય છે. સરમણ મુંજાએ પિસ્તોલ તાકીને ભલે માસ્તરને ડરાવ્યો પરંતુ વિધાર્થીના માનસ પટ પર પોતે નિર્દોષ હોય અને તેના જીવનમાં સરમણ મુંજાએ કરેલી મદદ આજીવન સંભારણુ બની જાય છે .




પરીક્ષા પૂર્ણ થયા બાદ ત્રણ મહિના પછી જયારે પરિણામ આવે છે ત્યારે આ વિધાર્થી બોર્ડમાં ખૂબ સારા માર્કસ સાથે પાસ થાય છે. જીવનના મહત્વના પડાવ એવી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્કસ સાથે પાસ થવાથી વિદ્યાર્થી તેના માતા પિતા અને જે સબંધીએ મદદ કરી હતી તેમને આનંદનો પાર રહેતો નથી. માતા પિતા જાણતા હતા કે આજે પુત્રની જીંદગીમાં જે આનંદનો અવસર આવ્યો છે તેનો શ્રેય માત્ર ને માત્ર સરમણ મુંજાને જાય છે. પરિવાર ભલે ગરીબ હતો પરંતુ તેમની ખાનદાની અમીરાઈને કોઈ પહોંચી શકે તેમ નહોતું.  જે સબંધીને લઈને પુત્રની કારર્કિદી બગડતા બચી હતી તેમને લઈને માતા-પિતા પોરબંદર સરમણ મુંજાનો આભાર માનવા કાંધલી કૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસે આવે છે.



માતા-પિતા દ્રારા પુત્ર ખૂબ સારા માર્કસ સાથે પાસ થયાના સમાચાર આપી સરમણ મુંજાનું મિઠાઈ ખવડાવી મોઢુ મીઠુ કરાવે છે. ખૂબ સારા માર્કસ સાથે પરીક્ષા પાસ કર્યાના સમાચાર સાંભળી સરમણ મુંજા  તેનાથી એક માસુમની જીંદગી બગડતા અટકી હોવાથી આનંદીત થાય છે. સરમણ દિકરાના માતા-પિતાને જણાવે છે કે આ વિધાર્થી સાચો હતો એટલે તેને સાથ આપવો તેની ફરજ હતી અને તે ફરજ માત્ર પોતે નિભાવી છે. વિધાર્થીને ખૂબ ભણીને સારી નોકરી કરી સમાજ ઉપયોગી કાર્યો કરવાની સલાહ પણ સરમણ મુંજા આપે છે. આ વિધાર્થી આગળ જતા ઉચ્ચ અભ્યાસ કરી કેન્દ્ર સરકારની નોકરી મેળવે છે અને ચાર દાયકા કેન્દ્ર સરકારમાં નોકરી કરી હજુ થોડા સમય પહેલા જ ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત થાય છે. હાલ આ અધિકારી પોરબંદરમાં રહીને નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. (ખાસ નોંધ આ કિસ્સામાં વિધાર્થીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે)



 
બીજી તરફ પોરબંદરની ખારવા ગેંગ બંદર પર પોતાનું વર્ચસ્વ વધારતી જાય છે. નારણ મેપાના બે ભાઈની હત્યા બાદ તેનુ વર્ચસ્વ થોડુ ઘટે છે. આ બાજુ તેની ગેંગથી છુટા પડેલા નારણ સુધા પોતાની નવી ગેંગ બનાવે છે અને તેમાં જશુ ગગન અને હીકુ ગગનને સાથે રાખી ખારવાવાડમાં પોતાનો વિસ્તાર વધારતો જાય છે. શિતળા ચોક તરફ નારણ મેપાનો દબદબો છે તો બંદર ચોક અને પાલાના ચોક તરફ નારણ સુઘાનુ વર્ચસ્વ છે. નારણ મેપાના સાગરીતો  દેશી દારુ, ટિકીટના કાળાબજાર તેમજ જુગાર જેવી પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય છે.  ગેંગસ્ટર  નારણ મેપાની ખાસીયત હતી કે તે કયારેય દાણચોરીની પ્રવૃતિમાં સંકળાયેલો નહીં. દાણચોરીનો તે હંમેશા વિરોધી રહેલો. તેનાથી અલગ પડેલો તેનો જૂનો સાગરીત નારણ સુધા તે સમયે દમણના નામચીન અને દાણચોરીના બેતાજ બાદશાહ એવા શકુર નારણ બખીયા સાથે એક દાણચોરીની ખેપ કરેલી અને તેમાં તેને સારી એવી કમાણી કરી હતી. દારુ,જુગાર અને ટિકીટના કાળાબજારથી થતી આવક કરતા દાણચોરીમાં ઓછા સમયમાં સારા રુપીયા મળતા હોય નારણ સુધા હવે દાણચોરીમાં કંઈક મોટુ કરવાનું વિચારે છે .





પોરબંદરના બારમાસી બંદર પર વાહણોની આવક અને જાવક ખૂબ રહેતી હતી. આ માટે ટ્રાન્સપોર્ટ તેમજ માલ સમાન કોઈપણ મુશ્કેલી વગર ચડાવવા ઉતારવા માટે નારણ મેપા અને નારણ સુધાની ગેંગ સક્રિય કામ કરતી. બંદર પર એ સમયે વિવિધ કિંમતી વિદેશી વસ્તુઓની દાણચોરીના વધતા કિસ્સાને પગલે કસ્ટમ વિભાગ ખૂબ કડકાઈથી કામગીરી શરુ કરે છે. કસ્ટમની કામગીરીને પગલે દાણચોરી માટે નારણ સુધાની ગેંગ હવે પોરબંદર આસપાસના વિસ્તાર પસંદ કરે છે.  નારણ સુધાની ગેંગ તેમનો દાણચોરીનો માલ ઉતારવા હવે પોરબંદરના બદલે નજીકના  કુછડી, માધવપુર, માંગરોળ તેમજ ગોસાબારા સહિતના નિર્જન વિસ્તારો પર પસંદગી ઉતારે છે. દાણચોરો રાત્રિના સમયે  બોટ મારફતે સોનુ, ચાંદી, ઈલેકટ્રોનિક ધડિયાળ, ટેપરેકોર્ડર તેમજ વિદેશી સિગારેટ સહિતનો માલ સમાન ઉતારી તેમની સુરક્ષિત જગ્યા પર લઈ આવતા. 




પોરબંદર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેર ઉપરાંત અન્ય સમાજના લોકો જયારે પણ  મુસીબતમાં  આવે ત્યારે તેમનો એક માત્ર વિકલ્પ સરમણ મુંજાનો આશરો લેવાનું બનતું જાય છે.  આજે પણ પોરબંદર જિલ્લામાં લોકોના મુખે અનેક કિસ્સા સાંભળવા મળે છે જેમાં તેમની મુસીબતનો અંત સરમણ મુંજા પાસે આવતા આવી ગયો હોય. લોકો પોલીસ અને રાજનેતાની બદલે સરમણ મુંજાની પાસે પોતાની રજૂઆત કરવા આવવા લાગ્યા. સરમણ મુંજા પોતાના મેમણવાડા સ્થિત ઘરે દરબાર ભરે અને ગરીબ લોકોને તેમની મુશ્કેલીમાંથી ઉગાર્યા હોય અને તેને  લઈને તેમનુ જીવન સુખમય બની ગયુ હોય એવા અનેક કિસ્સા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવાર માટે હવે સરમણ મુંજા એક મસીહાની છાપ ધરાવતા થઈ ગયા હતા. લોકોને મુશ્કેલીના સમયે બહાર નિકળવાનો રસ્તો હવે સરમણ મુંજા બનતા જતા હતા. અનેક સમસ્યાનો એક માત્ર ઉકેલ સરમણ મુંજા હોય ત્યારે સ્વભાવિક છે કે એનો સૌથી વધુ ઉપયોગ રાજનેતા કરે. પોરબંદરમાં સરમણ મુંજાની ધાક અને ગરીબોમાં વધતી લોકપ્રિયતાને પગલે તેનો સૌથી વધુ લાભ લેવાનું કોઠાસુઝ ધરાવતા રાજકારણી વસનજી ખેરાજ ઠકરાર વિચારે છે. સરમણ મુંજાના વધતા પ્રભાવનો ઉપયોગ ખાસ કરીને વસનજી ઠકરાર જેવા ચતુર રાજનેતા ન કરે તો જ નવાઈ કહેવાય. 




વસનજી નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન હતા ત્યારે તમામ ગેંગનો કંટ્રોલ પોતાની મન મરજી મુજબ કરી શાસન ચલાવતા. જો કોઈ તેનો વિરોધ કરે તો ગેંગનો સહારો લઈ વિરોધીને ડામી દેવાના અને જો ગેંગનો કોઈ સભ્ય ઉંચો નીચો થાય તો પોલીસનો સહારો લઈ તેને ઠેકાણે પાડી દેવાનો. વસનજી ઠકરારે 1972માં માલદેવજી ભાઈ સામે વિધાનસભાની ચૂંટણીમાં હાર સહન કરી ચૂકયા હતા પરંતુ તેમની પાસે નગરપાલિકાના પ્રમુખનો તાજ હોય તેમને  હાર સહન કરી લીધી. જોકે 1974માં  નગરપાલિકાના પ્રમુખ તરીકે તેઓ વિશ્વાસનો મત હારી જતા રાજીનામુ આપવાની ફરજ પડી હતી અને તેના વળતા પાણી શરુ થયા હતા. વસનજી ગેંગનો દબદબો ધરાવતા લોકોનો કઈ રીતે ઉપયોગ કરવો તેમાં ખૂબ પાવરધા હતા વસનજી રાજીનામા બાદ ફરી સત્તાનો સ્વાદ ચાખવા માંગતા હતા. આ માટે તેઓ સરમણ મુંજાના વધેલા વર્ચસ્વનો લાભ લઈને ડામાડોળ બની ગયેલી રાજકીય સફરને બચાવવાનુ વિચારે છે.




પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે ખારવા જ્ઞાતિના ધનજીભાઈ કોટિયાવાલા હતા અને ધારાસભ્ય તરીકે માલદેવજીભાઈ ઓડેદરા હતા. બંને નેતાઓ નખશીખ પ્રમાણીક હોય વસનજી ઠકરારને પોતાની મરજી મુજબ શહેરમાં રાજકીય અસ્તિત્વ ટકાવવુ હવે મુશ્કેલ બનવા લાગ્યુ હતું.  


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-14 આવતા ભાગમાં આપણે વાંચીશું મહેર સમાજના મોભાનુ સ્થાન ધરાવતા માલદેવજીભાઈ ઓડેદરા વિશે જેને આજે પણ પોરબંદરવાસીઓ એક આદર્શરુપ રાજનેતા ગણે છે.  તેના વિશે વાંચીશુ....


 


ગેંગ્સ ઓફ પોરબંદરના આગળના ભાગ વાંચવા અહીં ક્લિક કરો