ગાંધીનગર: ઘોઘા-દહેજ વચ્ચેની રોપેક્સ ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવશે. ચોમાસામાં ભારે વરસાદને કારણે દહેજ તરફ સિલ્ટિંગ વધુ થતાં રોપેક્સ ફેરી સર્વિસ બંધ કરી દીધી હતી. બીજી તરફ ગુજરાત સરકારે કેન્દ્રની મદદ માગતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદ્દે ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષસ્થાને એમ્પાવર્ડ ગ્રૂપ બનાવ્યું હતું.


આ ગ્રૂપ દ્વારા ટેક્નિકલ પાસાઓના અભ્યાસ અને કામગીરી બાદ હવે આ ફેરી સર્વિસ ચાલુ થઈ શકી છે. અગાઉ 21 ફેબ્રુઆરીએ સર્વિસ ચાલુ કરવાની હતી પરંતુ દરિયામાં મોજાંના ઉછાળ નહીં હોવાથી હવે 24મીથી ફેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં દિવસે એક રાઉન્ડ ટ્રીપ ચાલશે. બીજી તરફ દહેજ ખાતે ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ ઘોઘા-દહેજ વચ્ચેની ટ્રીપોની સંખ્યા વધારવામાં આવશે.