Gir Somnath: ગીર સોમનાથમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક દુકાનદારે યુવકને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યુ છે. ખરેખરમાં વાત એમ છે કે, યુવકે પાનના ગલ્લા પરથી બીડી લીધી હતી અને દુકાનદારે આ બાબતે યુવકને ઢોર માર માર્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં આ ઘટના ઘટી છે, અહીં અહીં નરસિંહ ટેકરીમાં ગઇકાલે એક સામાન્ય બાબતો દુકાનદાર અને યુવક વચ્ચે બોલાચાલી થઇ હતી. પાનના ગલ્લા પર એક યુવકે પુછ્યા વિના બીડી લીધી હતી, ત્યારે દુકાનદારે યુવકને કહ્યું કે તે પુછ્યા વિના ગલ્લા પરથી બીડી કેમ લીધી કહીને દુકાનદારે યુવકને ઢોર માર માર્યો હતો. આ પછી યુવકની હાલત ગંભીર થઇ ગઇ અને તેને હૉસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 25 વર્ષયી મૃતક યુવકનું નામ બાવાજી રાહુલગીરી ઉલ્લાસગીરી અપારના હતુ. જ્યારે દુકાનદાર આરોપીનું નામ બાબુ ભુપત ડાભી છે, હાલમાં તાલાલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી બાબુ ભુપત ડાભીની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.


ખેતરે જવા નિકળેલ આધેડ મોતને ભેટ્યા


વેરાવળ નજીકના ઊંબા ગામ નજીક આવેલા તળાવમાં મગરે એક આધેડનો ભોગ લીધો છે. ઉંબા ગામના કરશનભાઈ પંડિત નામના 58 વર્ષના વ્યક્તિ પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે તળાવ પાસેથી પસાર થતાં હતા તે દરમિયાન તળાવના કિનારે પાણીમાં છુપાયેલા મગરે તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. કરસનભાઈ કાંઈ સમજે એ પહેલા જ મગરે તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો. સ્થાનિકોને ખબર પડતા  લોકો એકઠા થયા અને તળાવમાંથી ભારે જહમત બાદ કરશનભાઈના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આધેડના મોતથી પરિવારમાં માતમ છવાયો છે તો બીજી તરફ મગરના હુમલાને કારણે તળાવ નજીકથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ છે.


વાડીએ પાણી વાળવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગતા મોત


દ્વારકા: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય રહ્યો છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ભાઈના હાથે બહેન રાખડી બાંધી રહી છે. તો તરફ રક્ષાબંધનના દિવસે જ એક યુવકનું વીજકરંટ લાગતા મોત થતા અરેરાટી મચી જવા પામી છે. ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામે એક યુવાન ખેતરમાં પાણી વાળવા ગયો હતો તે દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવક જેવો ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે યુવાનને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવાર પર આભ ફાટ્યું છે. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.