Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.


મુખ્યમંત્રી પદ માટે આ નામ છે રેસમાંઃ


અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે રસપ્રદ થયો ચૂંટણી જંગઃ


આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ આ ચૂંટણીને રસપ્રદ બનાવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 1995 થી ગુજરાતમાં શાસનમાં છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તેના પ્રચારને આગળ વધારવામાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે કુલ 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં મતગણતરી સાથે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. આ પ્રસંગે ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને પંચના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.


AAPએ જાહેર કરી નવમી યાદી, આ 10 સીટો પર ઉમેદવારોને મળી ટિકિટ


ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાંતિજી ઠાકોર, અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર ખાડિયા બેઠક પર હારુન નાગોરી, દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણા બેઠક માટે ડૉ. ZP ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જૂન ભરવાડ, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક માટે કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.