Morbi Bridge Collapse: 30 ઓક્ટોબર રવિવારની સાંજે મોરબીમાં આવેલી મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાયા બાદ ઘણા લોકોને બચાવામાં આવ્યા હતા. મચ્છુ નદીમાંથી લોકોને ડૂબતા બચાવા માટે ઘણા તરવૈયા અને તંત્રની ટીમો દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી. આ સાથે ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી, એનડીઆરએફ (NDRF), એર ફોર્સ (Air Force), એસડીઆરએફ (SDRF) સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ શરુ કરવામાં આવ્યું હતું. 


5 દિવસ સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન


30 ઓક્ટોબર રવિવારની સાંજથી શરુ કરવામાં આવેલું આ સર્ચ ઓપરેશન આજે પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું છે. 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ આજે પૂર્ણ જાહેર કરાયું છે. રાહત કમિશનરની અધ્યક્ષતામાં મિટીંગ કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ મિટીંગમાં મચ્છુ નદીમાં શરુ કરાયેલું સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે. 2 વ્યક્તિઓ મચ્છુ નદીમાં હજી પણ લાપતા થયેલા હોવાની માહિતી મળી હતી જેથી સર્ચ ચાલુ રાખવામાં આવ્યું હતું. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નહતો. આજે પણ શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી પરંતુ કોઈ મૃતદેહ ના મળતાં સર્ચ ઓપરેશન બંધ કરાયું છે.


મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત કરી હતી. જ્યાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પુલ દુર્ઘટનાથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. 


પ્રધાનમંત્રીએ મોરબી SP કચેરીમાં કરેલી હાઈલેવલ મિટીંગમાં કહ્યું કે, અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપી હતી.


પીએમ મોદીએ કહ્યું કે, સમયની જરૂરિયાત છે કે એક વિગતવાર અને વ્યાપક તપાસ કરવામાં આવે જે આ દુર્ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓને ઓળખી શકે. પીએમ મોદીએ કહ્યું કે, અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે.