અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકને આગામી 6 મહિના સુધી પોલીસ રક્ષણ આપવા ગુજરાત હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં જેઠવા વતી જુબાની આપનારા યાજ્ઞિકને ભાજપના ટોચના નેતા અને ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના સાથીઓએ નારી નાંખવાની ધમકી આપતાં હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.


અમિત જેઠવા હત્યા કેસમાં દોષિત ઠરેલા દિનુ બોઘા સોલંકી અને તેના સાગરિતોએ જામીન પર છૂટ્યા પછી આનંદ યાજ્ઞિકને મારી નાખવાની ધમકી આપી હતી. તેના પગેલ યાજ્ઞિક દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.અમિત જેઠવા હત્યા કેસમાં આનંદ યાજ્ઞિકે સાક્ષી તરીકે જુબાની આપી હતી. દિનુ બોઘા અને તેના સાગરિતોએ આ બાબતનો ખાર રાખીને આનંદ યાજ્ઞિકને મારી નાખવા ધમકી આપી છે.

અમિત જેઠવાનીએ પોતાની હત્યા પહેલાં આનંદ યાજ્ઞિકને તેના જીવને જોખમ હોવાની વાત કરી હતી. દિનુ બોઘા સોલંકીએ અવારનવાર જેઠવાને મારી નાખવાની ધમકી આપી હતી તેની વાત પણ તેણે યાજ્ઞિકને કરી હતી. આ વાતચીતના થોડાં દિવસમાં જ હાઇકોર્ટની સામે આવેલા સત્યમેવ જયતે કોમ્પ્લેક્સની નીચે ગોળી મારીને જેઠવાની હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં સીબીઆઇ કોર્ટે દિનુ બોઘા તથા તેના ભત્રીજા શિવા સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. થોડા સમય આગાઉ દીનુ બોઘા સોલંકી કામચલાઉ જામીન પર છૂટયો છે.