બોટાદઃ ગુજરાતમાં આગામી ત્રીજી નવેમ્બરે આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવાના દાવા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે.


ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ હુંકાર કર્યો છે અને જણાવ્યું છે કે, ગઢડા વિધાનસભા પેટાચૂંટણીમાં જો કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપશે તો જ જીત નિશ્ચિત છે. જો કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તો કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર આવશે હાર નિશ્ચિત છે.

મોહનભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા , મુકેશભાઈ શ્રીમાળી આ ત્રણમાંથી એક ઉમેદવારની પસંદગી હાઇકમાન્ડ કરે તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલિયા દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ કરતા કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં 8 ધારાસભ્યોએ પંજો છોડી કેસરિયો ધારણ કરીને રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા - પ્રધ્યુમન જાડેજા, ડાંગ - મંગળ ગાવિત, કપરાડા - જીતુ ચૌધરી, કરજણ - અક્ષય પટેલ, ગઢડા - પ્રવિણ મારુ, ધારી - જે.વી. કાકડીયા, લીંબડી - સોમા પટેલ, મોરબી - બ્રિજેશ મેરજા ના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.