બોટાદઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અબડાસા, કરજણ પછી હવે ગઢડા બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ હાર સ્વીકારી લીધી છે અને મતગણતરી કેન્દ્ર પરથી વિલા મોઢે રવાના થઈ ગયા છે. તેમણે જતા જતા ભાજપ પર આક્ષેપ કર્યો હતા.


તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની હાર નથી. ભાજપની તોડજોડની નીતિને કારણે જીત્યા છે. હાર અમે માથે ચડાવીએ છે. ભાજપ સત્તા પર છે એટલે કદાચ મતદાતાઓએ ભાજપને પસંદ કર્યું છે. અગાઉ અબડાસા કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.

કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા મતગણતરી સેન્ટર છોડીને નીકળી ગયા છે. કિરીટસિંહ જાડેજાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને કરજણની જનતાનો આભાર માન્યો હતો. મતદાનના છેલ્લા બે દિવસમાં મતદારોને ડરાવ્યા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભાજપે મત મેળવ્યા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. આવનારા સમયમાં ડબલ જોશથી મતદારો વચ્ચે જઈશું, તેમ જણાવ્યું હતું.