ગુજરાત કોરોના રસીકરણમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. સોમવારે વધુ 1 લાખ 7 હજાર લોકોને કોરોના વેક્સિન અપાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 85 હજારથી વધુ વ્યકિતને રસી મૂકવામાં આવી છે. 


25 લાખ 85 હજાર પૈકી 20 લાખ 69 હજાર 918 લોકોને પ્રથમ ડોઝ તો 5 લાખ 15 હજાર 842 વ્યકિતને બે ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ગઈકાલે સિનીયર સિટીઝન તેમજ 45થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 


આ સિવાય ગઈકાલે 18,185ને કોરોના રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ 10 લાખની વસતીએ સરેરાશ 36 હજાર 800 વ્યક્તિ કોરોના રસી લઇ ચૂક્યા છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ વ્યક્તિઓએ કોરોના રસી લીધી હોય તેમાં રાજસ્થાન 29 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 28.30 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, પશ્ચિમ બંગાળ 24.40 લાખ સાથે ચોથા, ઉત્તર પ્રદેશ 23.20 લાખ સાથે પાંચમાં જ્યારે કેરળ 15.50 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.