અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પક્ષો મુરતિયા પસંદ કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન આજે ઉમેદવાર પસંદ કરવા અંગે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. કોંગ્રેસના નેતાઓ 6 મહાપાલિકાના ઉમેદવાર પસંદ કરશે.


કોંગ્રેસ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષ નેતા આજે 6 મહાનગરના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં સીટિંગ કોર્પોરેટરને રિપીટ કરવા કે ન કરવા તે અંગે નિર્ણય લેવાઇ શકે છે. 6 મહાપાલિકાની ચૂંટણીના મોટાભાગના ઉમેદવાર આજે કોંગ્રેસ નક્કી કરશે. પ્રથમ તબક્કાના ઉમેદવાર કોંગ્રેસ કાલે સાંજે કે મોડી રાત્રે જાહેર કરી શકે છે.

રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.

નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે.  મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.