ગાંધીનગર: કેંદ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે કાલે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે.


આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું જાહેરમાં  માસ્ક નહીં પહેર્યું હોય તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સિટી બસો ચલાવવાને લઈને કાલે જાહેરાત કરાશે. જાહેરમાં થુકવા પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચથી લોકડાઉન છે. કોરોના વાયરસથી મહામારીને લઈને આજે દેશમાં 31 મે સુધી લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ,સ્કૂલ,કોલેજ અને જિમ બંધ રહેશે. આ સાથે જ 31 મે સુધી મેટ્રો અને હવાઈ સેવાઓ પણ બંધ રહેશે.