ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ક્યા નેતાને મળવા જવું નહીં એવું નક્કી કરાયું? જાણો વિચિત્ર નિયમ
abpasmita.in | 03 Jun 2019 09:58 AM (IST)
કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આ સ્વૈચ્છિક આચારસંહિતા પાળવા કહી દેવાયું છે.
dainikbhaskar.com
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી અને ધારાસભ્યોની બેઠક રવિવારે પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં એવો વિચિત્ર નિર્ણય લેવાયો હતો કે, રાજ્યસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસના કોઇ ધારાસભ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા જવું નહીં. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આ સ્વૈચ્છિક આચારસંહિતા પાળવા કહી દેવાયું છે. વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપમાં જવા માગતા કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને બેન્ડવાજા સાથે વિદાય આપશે પણ ખોટી અફવા ના ફેલાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે. થોડા સમય પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં રોડ મંજૂર કરવાના જોબ નંબર લેવા ગયા હતા. એ વખતે તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી વાત બહાર આવી હતી. આ ઘટનાની કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ચર્ચા થઇ હતી. આ ચર્ચાના અંતે નક્કી થયું હતું કે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં ખોટી અફવા ફેલાય નહીં એટલે રાજ્યસભાની ચૂંટણી સુધી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે મંત્રીઓને મળવા જવું નહીં. આમ છતાં મત વિસ્તારના અગત્યનું કોઈ કામ હોય તો સિનિયર ધારાસભ્યોને સાથે લઇને જવું, જેથી કરીને કોઇ ખોટી અફવા ફેલાય નહીં.