અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.  કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.


ખેડાવાલાએ ખાડિયાના ધારાસભ્ય પદેથી પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, વધારાના બે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવશે તો હું રાજીનામું પરત લઈશ. મારો વિરોધ માત્ર બહેરામપુરા વોર્ડ પૂરતો જ છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગર પાલિકાની ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા હતા અને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. કૉંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેડ આપ્યા છે. કમરુદ્દીન પઠાણ,કમળા ચાવડા,તસ્લિમ તીરમિઝી,નઝમાં રંગરેઝ,રફીક શેખ અને નફિસાબાનુંને મેન્ડેટ આપ્યા હતા.

ખેડાવાલાએ આ મુદ્દે આજે પ્રભારી રાજીવ સાતવ, સહ પ્રભારી મોહંતી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી પોતાના નારાજગી વ્યક્ત કરી હતી.