Congress Nyay Yatra: આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયુ છે, ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે. ખાસ વાત છે કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ-અલગ દૂર્ઘટનામાં પીડિતોને ન્યાયની માગ કરવા માટે કાઢવામાં આવી રહી છે. પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાય યાત્રા પસાર થશે જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં અને મોરબીના દરબાર ગઢથી યાત્રાની શરૂઆત કરાઇ હતી. કહેવાઇ રહ્યું છે કે, ગુજરાત ન્યાય યાત્રામાં કોઇ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે આવતીકાલથી ભાજપ રાજ્યભરમાં તિરંગા યાત્રા કાઢી રહ્યું છે.


મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા નીકળી છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.


મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારાને ન્યાય યાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લા યાત્રી તથા અતિથિ યાત્રી પણ હશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દૂર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.


તો વળી બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી (10 ઓગસ્ટ) રાજ્યભરમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, સરકારની તિરંગાયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.