અમદાવાદઃ લોકડાઉનમાંથી મળેલી રાહત, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ધરાર બેદરકારીને પગલે ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. તહેવારોની ઉજવણીમાં લોકો બેદરકાર બન્યા હોય તેની અસર હવે જોવા મળી રહી છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં  ગુજરાતમાં કોરોનાના ૩૪ નવા કેસ નોંધાયા છે. જે ૨૩ જુલાઇ એટલે કે ૮૩ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ છે.


સુરતમાં ફરી ચિંતાનો માહોલ


છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૪ સાથે ૯, અમદાવાદ-વલસાડમાંથી ૭, વડોદરામાંથી ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાંથી ૨ જ્યારે મહેસાણા-નવસારીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૨૪૪ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૫,૯૪૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રિક્વરી રેટ ૯૮.૭૫% છે.


એક્ટિવ કેસ ફરી 200ને પાર


૧૦ ઓગસ્ટ એટલે કે ૬૫ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૨૦૦ને પાર થયો છે. રાજ્યમાં હાલ ૨૧૫ એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. ૫ ઓક્ટોબરના ૧૮૦ એક્ટિવ કેસ હતા. આમ, ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૨૦%નો વધારો નોંધાયો છે. સુરત ૫૬, વલસાડ ૪૯, અમદાવાદ ૪૫, વડોદરા ૧૮ અને નવસારી ૧૪ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે.


કેટલા લોકોને અપાઈ રસી


 રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 16 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3229  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20778 નાગરિકોને રસીનો પ્રથમ અને 72060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 65745 નાગરિકોને રસીનો પ્રથમ અને 171602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,430 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,63,31,478 રસીના ડોઝ અપાયા છે.