Gujarat Corona Cases:  દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે. જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાની અસર જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હરિ હરાનંદ બાપુ તાજેતરમાં સરખેજ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં રહ્યા હતા.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં શનિવારે કોરોનાના 777નવા કેસ નોંધાયા અને સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં જુલાઇના 16 દિવસમાં કુલ કોરોના સંક્રમિતોનો આંક હવે 10,057 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 4632 એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 1873, સુરતમાંથી 651 જ્યારે વડોદરામાંથી 360 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે વધીને 10,954 છે. છેલ્લા 24 કલાકમાં 626 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 12,26,501 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.75 ટકા છે. શનિવારે વધુ 1.79 લાખ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. જેમાં 18-59 વયજૂથમાં પ્રીકોશન ડોઝ લેનારા 1,41,479 હતા.


ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડને પાર


ભારતે 200 કરોડ રસીકરણનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આવું કરનાર ભારત ચીન પછી બીજો દેશ છે. કોરોનાના કેસોને જોતા દેશમાં ઝડપથી રસીકરણ ચાલી રહ્યું છે, હાલમાં લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ભારતે માત્ર 18 મહિનામાં આ આંકડો પાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ભારત જેવા દેશમાં આટલા લોકો સુધી રસી પહોંચાડવી સરળ કામ નહોતું. ભારતમાં હજુ પણ રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે 12 વર્ષથી નીચેના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. રસીકરણના 200 કરોડના આંકડાને સ્પર્શવામાં સરકારની મહત્વની ભૂમિકા છે. સરકારના યોગ્ય આયોજનના આધારે જ દેશે આટલી મોટી સિદ્ધિ મેળવી છે.