ગાંધીનગર : લોકડાઉન બાદ પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા 363 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 392 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 13273 પર પહોંચી છે અને મૃત્યુઆંક 802 થયો છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 275, સુરત 29, વડોદરા 21, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર-5, ગીર સોમનાથ 4, ગાંધીનગર 3, ખેડા-3, કચ્છ-3, જૂનાગઢ-3, આણંદ-3, મહેસાણા-2, રાજકોટ-1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 11 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 18નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે અમદાવાદમાં 26 , ગાંધીનગર 2 અને ખેડામાં 1 મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 63 દર્દી વેન્ટિલેટર પર છે અને 6528 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 172562 ટેસ્ટ થયા જેમાંથી 13273 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.