Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીને લઈને આઝથી ભાજપ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. જેમાં એક વખતે એક નવી પ્રચાર રણનીતિ અમલી બનાવવાા ભાગરૂપે પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપ ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભા યોજીને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આજે રાજ્યના 82 મતવિસ્તારોમાં ભાજપના સ્ટાર પ્રચારકો, રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો વિશાળ જનસભા સંબોધશે.


ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રીય મંત્રી મંડળ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા વિસ્તારના સાંસદો મળીને કુલ 14 મહાનુભાવો 46 વિધઆનસભા મતવિસ્તારમાં અને ભાજપ પ્રદેશ પ્રમુખ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારો મળીને કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરીને વિશાળ જનસભાને સંબોધશે.


જેમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નરેન્દ્ર તોમર, અનુગાર ઠાકુર જનરલ વી.કે.સિંહ, મનસુખ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા. લદાખ લોકસભા વિસ્તારના સાંસદ જમ્યાંગ નામગ્યાલ વિશાળ જનસભા ગજવશે.. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી વજુભાઈ વાળા, આર.સી.ફળદુ, ગણપત વસાવા, પરસોત્તમ સોલંકી સહિતના નેતાઓ અને મંત્રી ભાજના ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધશે.


ગુજરાતની ચૂંટણીમાં ભાજપ સૌપ્રથમવાર એક સાથે 82 બેઠકોના મતવિસ્તારોમાં સામૂહિક જનસભા સંબોધન કરશે. જેને લઈને ભાજપે વિશેષ આયોજન પણ કર્યું છે. જે માટે ખાસ પ્રકારે કાર્યકરો, સ્થાનિક આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.


ગુજરાતમાં 27 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર આ વખતે પણ પાર્ટીને સત્તામાં જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એટલા માટે પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. તેઓ શનિવાર (19 નવેમ્બર)થી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.


જાણો PM નરેન્દ્ર મોદીની રેલીનું સંપૂર્ણ શેડ્યૂલ



  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.

  • પ્રધાનમંત્રી શનિવારે સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

  • PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.

  • PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.

  • આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 3 જાહેરસભાઓને સંબોધશે.

  • PM મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે.

  • PM મોદી બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં હશે.

  • ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 30 રેલીઓ અને રોડ શો કરે તેવી શક્યતા છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલીઓ કરી હતી.


ભાજપે સોમવારે રાત્રે આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 12 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી, OBC સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતની રાધનપુરને બદલે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા.  તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.