Gujarat Election 2022: કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર કાંધલ જાડેજા એ સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભરવા ઉપરાંત અપક્ષ ફોર્મ ભર્યું છે. આજે એનસીપી માંથી રાજીનામુ આપ્યા બાદ સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે.


આજે સવારે આપ્યું હતું રાજીનામું


એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજે એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે.


અલ્પેશ કથીરિયા સાથે ફોર્મ ભરવા ગયેલી યુવતિ કોણ ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આજે સુરતમાં વરાછામાંથી આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને ટિકિટ આપી છે. આજે કથીરિયાએ રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી હતી. કારના કાફલા સાથે તેઓ ઉમેદવારી નોંધાવવા નીકળ્યા હતા. આ સમયે તેમની સાથે કાર પર ભાવિ પત્ની કાવ્યા પટેલ પણ હતી. અલ્પેશની સાથે તેના પર પણ લોકોની નજર હતી. અલ્પેશના કાફલો માનગઢ ચોક પહોંચ્યો ત્યારે જય સરદારના નારા લગાવ્યા હતા. અલ્પેશે કહ્યું કે, લોકો હવે પરિવર્તન ઈચ્છે છે..જનતાનો પ્રેમ અમને મળી રહ્યો છે. કુમાર કાનાણીની હવે ઉંમર થઇ ગઈ છે, લોકો ઈચ્છે છે કુમાર કાકા ઘરે બેસે. લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખુબ પ્રેમ આપી રહ્યા છે.


ભરતસિંહ સોલંકી પર ટિકિટ વેચવાનો કોણે લગાવ્યો આરોપ ?


ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી ત્યારથી કકળાટ શરૂ થયો છે. હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.  જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને રિપિટ કરતાં એનએસયુઆઈના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી તોડફોડ કરી હતી. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આક્રમક દેખાવ કર્યો હતો. તેમણે ભરતસિંહ પર પૈસાના જોરે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત ભરતસિંહની નેમ પ્લેટ તોડી હતી અને દીવાલ પર અપશબ્દો લખ્યા હતા. ભરતસિંહ વિરોધી નારા પણ લગાવ્યા હતા.