ગાંધીનગરઃ ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના તમામ 18 હજાર ગામડાંઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.

1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 2,873 કરોડની સહાય આપવામાં આવશે. 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 238 કરોડની સહાય આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 684 કરોડની સહાય અપાશે.

એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6,800 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે. જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 4.70 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે.

એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.

સરકાર ટૂંક સમયમાં આ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ ઊભું કરશે જેની ખેડૂતે નુકસાન સામે વળતર મેળવવાની અરજી કરવાની રહેશે. આ પ્લેટફોર્મની જાહેરાત હવે પછી સરકાર કરશે. એસડીઆરએફના નિયમ મુજબ ખેડૂતની અરજી સામે જ સહાય આપવાની રહેતી હોવાથી ખેડૂતોએ દાવો રજૂ કરવો પડશે.