ગાંધીનગર: કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કોવીડ-19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતાં સાચા ‘કોરોના વોરિયર્સ’ ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણ અને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.


આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતી રવિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિદાન, તપાસ અને સારવાર આપતા ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, લેબ ટેક્નિશિયન તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે જેમણે 30 દિવસ કે તેનાથી વધારે દિવસો સુધી આ કામગીરી કરી હોય તેમના આ સમર્પિત ભાવને પ્રોત્સાહિત કરવા ખાસ પ્રોત્સાહક માનદવેતન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કયો છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા 25,000નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-3ના કર્મચારીઓને રૂપિયા 15,000નું માનદ પ્રોત્સાહક મહેનતાણું આપવામાં આવશે. વર્ગ-4 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂપિયા 10,000નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતાં કર્મચારીઓને રૂપિયા 5,000નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ આપવામાં આવશે.