ગાંધીનગર: શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં પ્રમોશન આપવામાં આવશે, તેવા અહેવાલો પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થઇ રહ્યા છે તે અંગે સ્પષ્ટતા સાથે જણાવવાનું કે હાલના તબક્કે આ સમગ્ર બાબત વિચારણા હેઠળ છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી.


આ સમગ્ર બાબતે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના અને શિક્ષણના હિતમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

કોરોના વાયરસના ખતરનાને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે  ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે તે પ્રકારના સમાચાર મીડિયામાં ચાલી રહ્યા હતા.  નવું સત્ર આ વર્ષે જૂન મહિનાથી શરૂ થશે.

જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય તો તે વિસ્તારના શિક્ષકોએ શાળાએ જવાની જરૂર નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે.