અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અંદાજે 4500 શિક્ષકોની ભરતી થશે. આ માટે શિક્ષણ વિભાગે ઝોન પ્રમાણે કમિટીઓ બનાવી છે. આ ભરતીમાં પહેલી વાર આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ થશે. દરેક સ્કૂલોમાં અનામત સીટોની સંખ્યાની યોગ્ય ગણતરી થાય તે માટે સ્કૂલોના રોસ્ટર સુધારવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ ઉપરાંત અન્ય 8 જિલ્લાના અધિકારીઓની મીટિંગ મંગળવારે અમદાવાદમાં યોજાશે. જોકે હાલમાં સ્કૂલોમાં જૂની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે શિક્ષકોને ભરતી કરાય છે.


મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ દરેક જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. તેથી જો દરેક જિલ્લાના આંકડા પર નજર કરીએ તો કામ ચલાઉ રીતે 3,500 જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જ્યારે કે તેનાથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો અંદાજ છે. શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આશરે 4,500 શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

રાજ્યની સ્કૂલોમાં હાલ જૂની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ હવે વધુ એક કેટેગેરીનો ઉમેરો કરાતા તમામ સ્કૂલોએ પોતાના રોસ્ટરમાં ફેરબદલાવ કરવા પડશે.

શિક્ષણ વિભાગ જિલ્લા પ્રમાણે રિઝર્વેશન ક્વોટા નક્કી કર્યા છે જેમ કે, અમદાવાદમાં 11 ટકા અનુસૂચિત જાતિ, 10 ટકા અનુસૂચિત જન જાતિ, 27 ટકા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે. રોસ્ટર પ્રમાણે ભરતી માટે પહેલી ત્રણ સિટો બિનઅનામત, ચોથી સીટો સા.શૈ પછાત વર્ગ વગેરે અનામત સીટો 13 ક્રમ સુધી રહેશે.