અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ મતગણતરી એક જ તારીખે હાથ ધરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.. ગઈકાલે હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી દેતા હવે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે..અરજદારનો દાવો છે કે અલગ-અલગ મતગણતરીના કારણે બાકી ચૂંટણી પણ તેની અસર થઈ શકે છે. અરજંટ સુનાવણી હાથ ધરવાની માગ સાથે અરજદારે સુપ્રીમમાં અરજી કરી છે. જેના પર સોમવારના સુનાવણી હાથ ધરાશે.


આ પહેલા ગુજરાત હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરી કરવાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવાવો જોઈએ.


રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે,  2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે. હવે ચુકાદો આવી જતાં આ જ પ્રમાણે મતગણતરી થશે.