અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઈ છે ત્યારે મેડિકલ એસોસિએશને સ્કૂલો શરૂ નહી કરવા સલાહ આપી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનાં પ્રમુખ ડો. મોના દેસાઈએ ચેતવણી આપી છે કે, હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવાથી બાળકોનાં જીવ જોખમમાં મૂકાશે. તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવવાની વાત ચાલી રહી છે, ત્યારે કોરોનાની રસી બાળકોને આપ્યાં બાદ તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલો ન શરૂ કરવી જોઈએ.


ડો. દેસાઈએ કહ્યું કે, નાનાં બાળકો પાસે કોરોના સામે કાળજી રાખવાના નિયમોનું પાલન કરાવવું ખૂબ મુશ્કેલ છે. શિક્ષણ જીવનથી વધારે નથી તેથી બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું. તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે, વેક્સિન બાળકોને આપ્યાં બાદ તેમનાં શરીરમાં એન્ટિબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલ શરૂ ન કરવી જોઈએ.

તેમણે સવાલ કર્યો કે, સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈને તમે બાળકોમનું જીવન શું કરવા જોખમમાં મૂકવા માગો છો ? હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એકદમ અયોગ્ય છે. દરેક સ્કૂલના સંચાલકો કહે છે કે, અમે ચુસ્તપણે કોરોનાના નિયમનું પાલન કરીશું પણ એ શક્ય નથી. મોટા લોકો માસ્ક પણ નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખતા નથી, તો પછી બાળકો કેવી રીતે રાખશે એ વિચારવાની જરૂર છે.

તેમણે એવો સવાલ પણ કર્યો કે, સ્કૂલો શરૂ કરો પછી બાળકોમાં સંક્રમણ ફેલાશે તો તેની જવાાબદારી કોણ લેશે? હું સ્પષ્ટ રીતે માનું છું કે, બાળકોને હાલની સ્થિતિમાં સ્કૂલે ન મોકલવા જોઇએ.