ગાંધીનગર:   આતૂરતા પુર્વક રાહ જોવાઇ રહી હતી તેનો અંત આવ્યો છે અને ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા 22મા મુખ્યપ્રધાન પણ મળી ચૂક્યા છે. ભારે ચર્ચા વિચારણા અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલના નામ પર આખરી મહોર લાગી અને નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી.


ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડીલોએ સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરહંમેશા મારા પર આશીર્વાદ આનંદીબેનના રહ્યા છે અને રહેશે. ગુજરાતના જે વિકાસના કર્યો છે તે સરકાર અને સંગઠનની સાથે રહીને કરીશું. અત્યાર સુધીમાં ખૂબ સારા કાર્યો થયા અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. વધુમાં પણ જે કઈ કામ બાકી હશે તે અમે નવે સરથી પ્લાન કરીને સંગઠનની સાથે બેસીને ખૂબ સારી રીતે આગળ વધાય તે માટેના પ્રયાસ કરીશું.


તેમણે કહ્યું હતું કે, મને કોઈ અણસાર હતો કે નહીં તે તમને બધાને ખબર પડી જ ગઈ હશે. પાર્ટીની પદ્ધતિ જ નથી કે જ્યારે પાર્ટી કહે ત્યારે જ નામની ખબર પડે. ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ચૂંટણી લક્ષી કામ કરવા માટે ટેવાયેલી નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો છે અને કામ કરતો રહેશે. આવતી કાલે અમે શપથ લઈશું. આજે સાંજે 6 વાગ્યે અમે રાજ્યપાલને મળવા જવાના છીએ.


15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો જન્મ
સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું છે
કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે
AMCના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે
અમદાવાદ ઘાટલોડિયાના છે ધારાસભ્ય
ગુજરાતમાં કોઈ પણ ખાતાના મંત્રી નહોતા
પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી
કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે
વર્ષ 2008-10 સુધી અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ચૅરમૅન રહ્યા
2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર રહ્યા
2015-17 સુધી ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે
મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
2017 વિધાનસભાની પહેલી ચૂંટણીમાં ભારે મતોથી જીત્યા
2017માં 1,17,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી