અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. નીતિન પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે ત્યારે નીતિન પટેલે આ વાતોને અટકળો ગણાવી છે.


નીતિન પટેલે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે. આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે


નીતિન પટેલે કહ્યું છે કે, મીડિયામાં મને મુખ્યમંત્રી બનાવાશે એવી વાતો ચાલે છે પણ મીડિયા મારા અનુભવના આધારે મારું નામ ચલાવે છે. વાસ્તવમાં મુખ્યમંત્રીપદે કોણ બેસશે તો ભાજપ હાઈકમાન્ડ જ નક્કી કરશે. નીતિન પટેલે એવું કહ્યું ખરું કે, આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે અને એવા નેતાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ.

નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતાં દાવો કર્યો કે, મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે અને કોઈના દબાણ હેઠળ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. આ મંતવ્યોના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા નક્કી થશે. ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે તે જોતાં બેઠકમાં નિર્ણય લેવાઈ જશે.


હાર્દિક પટેલે શું કર્યું ટ્વીટ


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, 15 મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને 43 ટકા મત મળી રહ્યા છે અને 96-100 બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને 38 ટકા મત અને 80-84 બેઠક મળી રહી છે. આપને 3 ટકા અને મીમને 1 ટકા મત મળી રહ્યા છે. 






હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે.