સી.આર. પાટીલે એવી પણ જાહેરાત કરી છે કે, હવેથી અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર રાજ્ય સરકારના મંત્રી હવે ભાજપના મુખ્યાલય કમલમમાં બેસશે. આવતા એકાદ અઠવાડિયામાં આ કામગીરી ચાલુથશે. જૂનાગઢમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધન વખતે કહ્યું કે, કાર્યકર ભાજપના પાયામાં છે અને કાર્યકર ગાંધીનગર ધક્કા ખાય એ નહીં ચલાવી લેવાય.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના મંત્રીઓને ભાજપના મુખ્યમથક કમલમમાં બેસીને કાર્યકરોના પ્રશ્ન-રજૂઆતો સાંભળવા તથા તેનો ઉકેલ લાવવા સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત પહેલાં જ આદેશ આપી દીધો હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે. સી.આર.પાટીલ સમક્ષ ભાજપના કાર્યકરો નારાજ હોવાની રજૂઆત કરાતાં તેમણે કાર્યકરોને મનાવવાના બહાને મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ આપ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.
એક ટોચના ગુજરાતી અખબારમાં દાવો કરાયો હતો કે, ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પણ કાર્યકરો ભાજપથી અત્યંત નારાજ છે કારણે કે પક્ષપલટો કરીને આવેલાં કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બન્યા છે જયારે પક્ષ માટે વર્ષોથી પરસેવો પાડતાં કાર્યકરોનો માત્ર ચૂંટણીમાં પોસ્ટર લગાડવા અને જાહેરસભામાં ખુરશી ગોઠવવાનાં કામ કરવા માટે જ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત એવી ફરિયાદો પણ ઉઠી છે કે,રૂપાણી સરકારના મંત્રીઓ કાર્યકરોને જ મળતા નથી અને કાર્યકરોના મત વિસ્તારના હોય કે અન્ય લોકહિતનાં હોય પણ કોઈ કામો થતા નથી.