ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી 83 લોકોના મૃત્યુ થયા છે. જેમાના 14 લોકોએ છેલ્લા 24 કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અલગ-અલગ જિલ્લામાં NDRFની 18 અને SDRFની 21 ટીમ તૈનાત છે.


અત્યાર સુધી 31 હજાર 35 લોકોનું સ્થળાંતર કરાયું, જેમાંથી 9 હજાર 848 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. વરસાદના કારણે 51 સ્ટેટ હાઈવે, 483 પંચાયત હસ્તકના રસ્તા મળી 537 માર્ગો સુરક્ષાને ધ્યાને રાખી હાલ બંધ છે. તો કચ્છમાંથી પસાર થતો નેશનલ હાઈ-વે 41 તેમજ નવસારી- ડાંગ હાઈ વે બંધ છે, જેને ઝડપથી ચાલુ કરાશે. તો મુખ્યમંત્રીએ ડેશ બોર્ડના માધ્યમથી સતત બીજા દિવસે વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. જ્યાં કોઝવે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના પરથી વાહનચાલકો પસાર ન થાય તે માટે પોલીસફોર્સનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ વરસાદથી નુકસાનીનો ઝડપથી સર્વે કરી સહાય ચૂકવવા સૂચના આપી છે.


તે સિવાય સરકાર વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4-4 લાખની સહાય આપશે. રાજ્ય સરકાર પાંચ મૃતકોના વારસદારોને સહાયની ચૂકવણી કરી છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોના વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. 51 સ્ટેટ હાઇવે, 483 પંચાયતના રોડ સાથે કુલ 537 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે 41, નવસારી હાઇવે 64 બંધ કરાયા છે. ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે. એસટીના 138 રૂટ બંધ કરાયા છે જે પૈકી 14ને ફરીથી કાર્યરત કરાયા છે. 769 ગામોમાં બંધ થયેલ વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. એસડીઆરએફની 21 અને એનડીઆરએફની 18 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે.


રાજ્યમાં આજે  સવારથી અત્યાર સુધી 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં 5 ઈંચ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના આહવા અને તાપીના
ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો..વિસાવદર, ધરમપુર, કોડીનારમાં સાડા 3 ઈંચ, ઉનામાં 3 ઈંચ, ઉમરગામ, પારડી, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.  તો વાપી, વેરાવળ, જામ કંડોરણા, નવસારી, ધારી, મહુવામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો..
તો નવસારીના જલાલપોર, ચીખલી, પલસાણામાં પણ પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો.