ગાંધીનગર: તાજેતરમાં 24 એપ્રિલના રોજ પ્રસારિત થયેલા રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળસંચયના મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે વરસાદના પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવો એ દરેક સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. આ દિશામાં ગુજરાત સરકાર છેલ્લાં 4 વર્ષોથી એક વિશેષ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે. સુજલામ સુફલામ જળ અભિયાન જેવા વિશિષ્ટ અભિયાને ગુજરાતની વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે જળસંગ્રહ ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.


કોઈપણ પ્રકારના મોટા ખર્ચ કે રોકાણ વગર અને જનભાગીદીરીની મદદથી આ અભિયાને ગુજરાતને અત્યારસુધીમાં 61,781 લાખ ઘનફૂટ વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં સક્ષમ બનાવી દીધું છે. તાજેતરમાં જ માર્ચ મહિનામાં ગુજરાત સરકારે આ અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કર્યો છે. અત્યારસુધીમાં આ અભિયાન હેઠળ 921 કામો પૂર્ણ થઈ ચૂક્યાં છે અને આ વર્ષે ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે પાછલા વર્ષની સરખામણીએ જળસંગ્રહની ક્ષમતામાં વધુ વધારો થાય. તાજેતરમાં જ થયેલી એક સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત અધિકારીઓને કડક નિર્દેશો આપ્યા હતા કે વિભાગ એ સુનિશ્ચિત કરે કે સુજલામ સુફલામ જળ અભિયાન સંપૂર્ણપણે સફળ બને અને રાજ્યમાં જો ક્યાંય પણ પાણીની ચોરી થઈ રહી હોય તો તેના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. 


છેલ્લા ચાર તબક્કાઓની વાત કરીએ તો વર્ષ 2018માં 13,500 લાખ ઘનફૂટ, વર્ષ 2019માં 10,053 લાખ ઘનફૂટ, વર્ષ 2020માં 18,511 લાખ ઘનફૂટ, વર્ષ 2021માં 19,717 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે. આ રીતે કુલ 61,781 લાખ ઘનફૂટ વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. 


પાંચમા તબક્કામાં 18,790 કામો પૂર્ણ કરવાનો લક્ષ્યઃ
અત્યારસુધીમાં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા હેઠળ 921 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે અને 9887 કામો હાલ પ્રગતિમાં છે. તેમાં  38 તળાવો, 28 નહેરો, 539 અન્ય જળાશયોને સાફ કરવામાં આવ્યા છે તેમજ તેમને ઊંડા કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં આ કામોને લીધે 7 લાખ માનવદિવસોનું સર્જન થયું છે અને હજુ એક મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે. 


ગુજરાતના જળ વિતરણ વિભાગના સચિવે આ વિષયમાં વધુ જાણકારી આપતા જણાવ્યું કે,  “સુજલામ સુફલામ જળ અભિયાન એ એક અનોખું અને ગુજરાતના લોકોમાં ખૂબ લોકપ્રિય અભિયાન છે. આ અભિયાનમાં અમને દર વર્ષે વિશાળ જનભાગીદારી જોવા મળે છે. આ અભિયાન ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવામાં વરદાન સાબિત થયંર છે. પાંચમા તબક્કા માટે અમારું લક્ષ્યાંક છે કે અમે ગત વર્ષ કરતા પણ વરસાદના વધુ પાણીનો સંગ્રહ કરીએ.”


‘મન કી બાત’માં વડાપ્રધાને ગુજરાતના માલધારીઓની વૃદાસ પરંપરાનો કર્યો ઉલ્લેખઃ
વડાપ્રધાને તેમના મનકી બાત કાર્યક્રમમાં ગુજરાતના માલધારીઓ દ્વારા જળ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતી પારંપરિક પદ્ધતિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કચ્છના રણમાં વસતા માલધારીઓ પાણીના સંગ્રહ માટે ‘વૃદાસ’ નામની એક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ હેઠળ નાના-નાના કૂવાઓ ખોદવામાં આવે છે અને તે કૂવાના સંરક્ષણ માટે તેની આસપાસ નાના-નાના ઝાડવાંઓ રોપવામાં આવે છે. સુજલામ સુફલામ જળ અભિયાનના માધ્યમથી ગુજરાત સરકાર તેમના આ વિચાર પર છેલ્લા પાંચ વર્ષોથી સતત કાર્યરત છે. 


75 અમૃત સરોવરના નિર્માણનો લક્ષ્યાંકઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એવી અપીલ પણ કરી હતી કે દેશ જ્યારે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે તે નિમિત્તે દરેક રાજ્ય પોતાના દરેક જિલ્લાઓમાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરે. ગુજરાતના પાણી પુરવઠા વિભાગના સચિવે જણાવ્યું કે વિભાગ વડાપ્રધાનના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે કામ શરૂ કરી ચૂક્યો છે અને 15 ઓગસ્ટ, 2022 સુધીમાં ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં 75 અમૃત સરોવરોના નિર્માણનું કાર્ય સંપન્ન કરવામાં આવશે.