ગાંધીનગરઃ રાજ્યમાંથી ચોમાસુ સત્તાવાર રીતે 15 ઓક્ટોબર બાદ વિદાઈ લઈ શકે છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 44 ઈંચ સાથે મોસમનો 135 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. અધિક માસમાં પણ અમરેલી સહિત અનેક જિલ્લામાં મેઘરાજાનો કહેર શરૂ રહેતા ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ હતી.


આજે બપોર બાદ તાલાલા ગીરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ઘુંસિયા, ધામણવા, માથાસુળિયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને મોટી ઢોલડુંગરીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

અમરેલીના સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલાના ઘનશ્યામ નગર, આદસંગ, થોરડી સહિતના ગામોમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી-પાણી થયા હતા. સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો હતો. ખેડૂતોને તલ, મગફળી બાદ હવે કપાસનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે.



વાપી પથંકમાં બે સપ્તાહના વિરામ બાદ વરસાદ આવતાં ગરમીથી પરેશાન લોકોને રાહત મળી હતી. વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.