પાટણ: વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ ગણાતા અને વર્ષ દરમિયાન ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોતાં હોય છે તેવી નવરાત્રીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં મોટા આયોજન કરતી ક્લબો, પાર્ટી પ્લોટોએ નવરાત્રીને મોકૂફ રાખી છે. ગુજરાતીઓ માટેનો સૌથી મોટો ઉત્સવ મનાતી નવરાત્રી યોજવાની મંજૂરી મળશે કે નહીં એ મુદ્દે અવઢવ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રીના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. આજે પાટણની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા હતા.


નીતિન પટેલે કહ્યું કે, અનલોક-5ની ગાઇડલાઇન મુજબ છૂટછાટ મળી શકે છે. અનલોક 5ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠાં થઈ શકે તેવી શરતો સાથે શેરી ગરબા યોજાય તે માટે સરકાર વિચારણા કરી રહી છે.

થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી નહીં ઉજવવાનો નિર્ણય લીધો હતો. કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે અને વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તે સમયે જણાવાયું હતું.

ચાલુ વર્ષે નવરાત્રિ 17 ઓક્ટોબરે શરૂ થશે અને 25 ઓક્ટોબરે પૂર્ણ થશે.

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ