અમદાવાદઃ  ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અમદાવાદમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ધરતીપુત્રોની  ચિંતા વધી ગઈ છે.


શહેરના આંબાવાડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, કાળુપુર, લાલ દરવાજા, બાપુનગર, ચાંદખેડા, વાડજ, સાબરમતી, બોડકદેવ, બોપલ, થલતેજ, નિકોલ, હીરાવાડી, ઓઢવ, દરિયાપુર, શાહપુર, ઇન્કમટેકસ સહિત મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સાણંદ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતાં ડાંગરના પાકને નુકસાન થવાની સંભાવના છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. લાઠી પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી, બોટાદ, મોરબી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.

સુરત શહેરમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાથી ડાંગરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. 13 ડિસેમ્બર રવિવાર સુધીમાં આ વિસ્તારમાં માવઠું પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડે તેવી વકી છે.

હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી  દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે  ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને  ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે.