Valsad News: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન વલસાડ શહેરમાં હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે.
વલસાડના તિથલ રોડ પર રહેતા 51 વર્ષીય રાજેશ સિંધે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ સમયે હાર્ટએટેક આવતાં રોડ પર જ ઢળી પડ્યા હતા. જેને લઈ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે આવી તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. રોડ પર જ હાર્ટ એટેકથી કારણે પુરુષનું મોત થતાં સવાર સવારમાં તિથલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
શુક્રવારે સુરતના જહાંગીરપુરામાં 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તેજસ રાઠોડ નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. જેથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તબીબએ મૃતક જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. જહાંગીરપુરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
હાર્ટ એટેક શું છે
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.