Heatwaves:  રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરમાં બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ગરમીનો પારો ઉંચકાતા ગરમીનો પ્રકોપ વધ્યો છે.


મંગળવારે અમદાવાદ સહિત 10 શહેરમાં મહતમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર નોંધાયો.  ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.


અમદાવાદની વાત કરવામાં આવે તો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો હતો.  જ્યારે ભુજમાં બે જ દિવસમાં તાપમાનનો પારો 4.8 ડિગ્રી ઉંચકાયો છે.  અમદાવાદમાં મહતમ તાપમાન 39.9 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય ડીસાનું 40.1, ગાંધીનગરનું 39.4 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, કંડલા એયરપોર્ટમાં 39 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.


ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો હતો. ચાલુ વર્ષે 24 માર્ચ સુધીમાં ઝાડા-ઉલ્ટીના 562 કેસ નોંધાયા હતા.  ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન ઝાડા-ઉલ્ટીના 504 કેસ નોંધાયા હતાં. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 58 કેસ વધ્યા છે. માર્ચ મહિનો પૂર્ણ થવાને હજુ સપ્તાહનો સમય બાકી છે  ત્યારે ઝાડા- ઉલટીના 562, કમળાના 85, ટાઈફોઈડના 204 અને કોલેરાના 4 કેસ નોંધાયા હતા.                                                                                  


આ ઉપરાંત રામોલ, અમરાઈવાડી, ઈન્દ્રપુરી અને લાંભામાં કોલેરાના એક- એક કેસ નોંધાયા હતા. આ તરફ શહેરમાં સ્વાઈન ફ્લૂ, શરદી, ખાંસી અને વાયરલ ફિવરના કેસો વધી રહ્યા છે. 24 માર્ચ સુધીમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ નોંધાયા હતા. જ્યારે સાદા મેલેરિયાના 9, ડેન્ગ્યૂના 15, ફાલ્સિપેરમ અને ચિકનગુનિયાનો એક- એક કેસ નોંધાયો હતો. શહેરમાં સરકારી અને AMC સંચાલિત હોસ્પિટલમાં OPDમાં પાણીજન્ય રોગચાળાનો ભોગ બનનાર દર્દીઓની કતારો લાગી છે. તો ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.