અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાંય સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી સાંજના સમયે ભારે વરસાદ પડે છે. અગાઉ હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાના દિવસોમાં વધારો કરતા 9 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. આમ, હજુ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી કે, રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. જે સાચી ઠરી છે. ત્યારે હવે, 7,8 અને 9 તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે જ તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી મેઘો જામ્યો છે. અમરેલીના રાજુલા પંથકમાં સતત બીજા દિવસે મેધસવારી આવી પહોંચી છે. ઉનાના દેલવાડા ગામે મેઘમહેર થઇ છે. દેલવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ચાલુ વર્ષે ઉના પંથકમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. પરંતુ હવે મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.

દરમિયાનમાં રાજ્યના વિવિધ ડેમોમાં ભારે વરસાદને પગલે પાણીની મબલખ આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે, ત્યારે ડેમની આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.