અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે.   આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ,  ભરૂચ,  નર્મદા,  છોટાઉદેપુર, વડોદરા, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  


જ્યારે ભાવનગર,  નવસારી,  ડાંગ,  વલસાડ,  દીવ,  દમણ,  દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હળવા વરસાદની આગાહી દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને  ગીર સોમનાથમાં કરવામાં આવી છે.  


ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ  આપ્યું છે. તાપી, નવસારી,વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી 


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. 15થી 17 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે . 17થી 24 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગષ્ટમાં વરસાદી ઘટ પૂરી થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.




રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં  29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં  37.61 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  18.95 ટકા વરસાદ વરસ્યો છે તો  ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો છે.


ઉમરપાડામાં જળબંબાકાર


સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.   સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં  10 ઇંચ વરસાદ વરસ્યો છે.  ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે.  ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. 


લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટી ગયો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે.  ચિતલદા ગામેથી વહેતી વીરા નદી 2 કાંઠે થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે.  ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે.  નદીમાં પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.   ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે.  ખાડી છલકાતા પાણી ફરી વળ્યાં હતા. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે.