રાજકોટ: સોમવારે રાતથી જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાતે જ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં ઉના અને ગીરમાં 4-4 ઈંચ, દિવમાં 2.5 ઈંચ અને ગિર ગઢડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉના અને ગીરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને ગીર ગઢડાના શાંગાવાડી નદીમાં પૂર આવ્યું હતું.

ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાંમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે.

છેલ્લા 12 કલાકમાં તાલાલા-33 વિસાવદર-25, વેરાવળ-25, કાલાવડ-17, સુત્રાપાડા-17, વંથલી-14, માળિયા-13, ખાંભા-13, ભેસાણ-12, મેંદરડા-12, કેશોદ-12, કલ્યાણપુર-10, જૂનાગઢ-9, કુતિયાણા-8, ગીર સોમનાથ-8, માણાવદર-7, ભાણવડ-6, પોરબંદર-6, મોરબી-4, લાલપુર-3 અને રાણાવાવમાં-3 એમએમ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે, વાયુ વાવાઝોડાની અસરને લઈને હવામાન વિભાગે ભારથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે હજુ આગાહી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરી છે.