હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂનછી લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડમાં પરિવર્તિત થશે અને 3 જૂનના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાય તેવી શક્યતા છે અને ત્યાર બાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ 2 જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે 3 જૂનની સવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં 1 નંબરનું સિગ્નલ લગાવવા માટે સૂચના આપી દીધેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.

આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂને પહોંચવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4-5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. સોમવાર એટલે આજથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.