અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે પ્રિ-પોઝીશનિંગ અંતર્ગત NDRFની 15 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 2 દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી છે. આવતીકાલે દમણ, નવસારી, સુરત, ડાંગ ભરૂચ, નર્મદા, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

તેમણે કહ્યું કે, બંગાળમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેને પગલે મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ ઉભી થઇ છે, જેના કારણે ગુજરાતમાં સાનુકૂળ પરિસ્થિતિ છે. માછીમારો માટે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના અડધા વિસ્તારોમાં વરસાદ થયો છે, જ્યારે કે બાકીના વિસ્તારોમાં હજી વરસાદ નથી. સીઝનનો 10 ટકા વરસાદ થઈ ચૂક્યો છે, જે ખેતી માટે આવકાર્ય છે.

વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક દરમિયાન વલસાડ, સુરત,ભાવનગર,પાલનપુરમાં પણ 1-1 ટીમ તૈનાત રહેશે, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં NDRFની 2-2 ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.