અમદાવાદઃ ગુજરાતમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ નહી તેમ છતા વાયુ વાવાઝોડાની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ હડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આજે એટલે કે 17મી જૂને સૌરાષ્ટ્ર કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે એટલે કે 18મી જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને મોરબીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું હોવા છતાં કચ્છમાં ટકરાવાની સંભાવના છે. દરિયાયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે. સોમવારે સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે ટકરાઈ શકે છે.

વાયુની અસરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. બે દિવસથી ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. તેમજ એક અઠવાડીયા સુધી રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.