‘વાયુ’ વાવાઝોડુ કચ્છના દરિયાકાંઠે ટકરાઈને કઈ બાજુ ફંટાશે? જાણો વિગત
abpasmita.in | 16 Jun 2019 09:00 AM (IST)
વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસેથી પસાર થઈને ફંટાઈ ગયા બાદ ઓમાનના આખાતમાંથી પુનઃ તે કચ્છ તરફ પરત વળે તેવી સંભાવનાઓ.
NEXT PREV
ગાંધીનગર: અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે સર્જાયેલા લોપ્રેસર બાદ ‘વાયુ’ વાવાઝોડાનો સકંટ હજુ કચ્છ પરથી ગયું નથી. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસેથી પસાર થઈને ફંટાઈ ગયા બાદ ઓમાનના આખાતમાંથી પુનઃ તે કચ્છ તરફ પરત વળે તેવી સંભાવનાઓ વચ્ચે શનિવારે હવામાન વિભાગે તારીખ 17 જૂનની સાંજ સુધીમાં કચ્છનાં નલિયા સહિતના દરિયાકાંઠે તે ટકરાશે તેવી આગાહી કરી હતી. શનિવારે વાવાઝોડું ભુજથી 462 કિલોમીટર દૂર રહ્યું હતું. રવિવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલીને કચ્છ તરફ ગતિ કરશે અને 17 અને 18 જૂન સુધી કચ્છના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે. વાવાઝોડના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. ભુજમાં આવેલું હવામાન વિભાગનું રડાર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. 15 જૂનનાં રોજ સાંજે વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ભુજથી 462 કિમી સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. વાવાઝોડું હજુ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે પરંતુ તે રવિવારે સાંજે અથવા સોમવાર સવાર સુધીમાં પરત ફરશે અને 12થી 13 કલાકના સમયગાળામાં 17 જૂનના સાંજે કચ્છના અબડાસાના નલિયા, જખૌના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે. કચ્છનાં અન્ય વિસ્તારોમાંથી પસાર થઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ નીકળી જશે. આ વાવાઝોડાની અસરને લીધે શનિવારે જિલ્લાના ગાંધીધામ, મુન્દ્રા, રાપર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં થયા હતાં અને ભુજમાં સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે સવારે ઝરમર છાંટા પડ્યા હતા.