અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, બાજરીના પાકને વ્યાપક નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2020 09:17 AM (IST)
બાયડ અને માલપુરમાં રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં ૩ મીમી વરસાદ પડ્યો હતો. બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
બાયડઃ ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હતું અને બાયડ અને માલપુરમાં રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં ૩ મીમી વરસાદ પડ્યો હતો. બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ આવતાં બાજરીનો ઉભો પાક આડો પડી ગયો હતો. મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી 17 મીમી સુધીનો વરસાદ ખાબક્યો છે. કડાણામાં 17 મી.મી, લુણાવાડામાં 2 મી.મી, સંતરામપુરમાં 2 મી.મી અને ખાનપુરમાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો. દાહોદના સંજેલી, ફતેપુરામાં મધરાત્રે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થી હતી. વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સંજેલી સહિતના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા વાલોડ સહિતના તાલુકાના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. નવસારી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં 'નિસર્ગ' વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નવસારી જીલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ગામો અને જલાલપોર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. નવસારી જીલ્લામાં 1 NDRFની ટીમ, 1 SDRFની ટીમને તૈનાત કરાઈ છે.