ગાંધીનગરઃ એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. જોકે આ વાવાઝોડીની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ૩થી ૫ જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન પણજીના દક્ષિણપશ્ચિમથી ૩૪૦ કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી ૬૩૦ કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી ૮૫૦ કિલોમીટરના અંતરે છે. તે હવે પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.' ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે.

નિસર્ગ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં આગામી ગુરુવાર-શુક્રવારે હળવા જ્યારે શનિવારે ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે ગાજવીજ સાથે વરસાદની આગાહી?

૩ જૂન : નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૃચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, દીવ.

૪ જૂન : દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ.

૫ જૂન : ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૃચ, વડોદરા, નર્મદા, છોટા  ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ.