સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના મતે 9મી જુલાઈથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ ધીમી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આ ઉપરાંત અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના ઉપરાંત વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલની સ્થિતિ પ્રમાણએ 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.