અમદાવાદ: રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે..દક્ષિણ-પૂર્વીય મધ્યપ્રદેશ, ગુજરાતની સાથે ઉત્તર મહારાષ્ટ્રમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસરોને કારણે 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


તો દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી  વરસાદ યથાવત રહે તેવી શક્યતા હવામન વિભાગે વ્યક્ત કરી છે.
ગઈકાલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ,અમરેલી,રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવ અને અમદાવાદમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીયે તો રાજુલામાં 45 મીમી, જાફરાબાદમાં 72મીમી,લીલીયામાં 55 મીમી, બગસરામાં 98 મીમી, સાવરકુંડલામાં 46 મીમી, વડીયામાં 72 મીમી, ખાંભામાં 93 મીમી જેટલો વરસાદ વરસ્યો છે..વરસાદને પગલે મુંજીયાસર ડેમ અને ખોડિયાર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો  છે.