અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે લોકોને વીજળી દરમાં રાહત આપતો નિર્ણય કર્યો છે. સરકારે વર્ષ 2018માં કોલસના ભાવમાં વધારાના કારણે વીજકંપનીઓને વધારે ટેરિફ વસૂલવાની મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે રદ કર્યો છે.


નવી માર્ગદર્શિકા પ્રમાણે લોકોને યુનિટ દીઠ 30 પૈસાનો ફાયદો થાય તેવી શક્યતા છે. જૂનો ઠરાવ રદ કરી સરકારે હવે 12-6-2020થી અમલમાં આવેલી નવી માર્ગદર્શિકાનો અમલ કર્યો છે.

આ માર્ગદર્શિકા અનુસાર કોલસા બજારના જાણીતા અને વિશ્વસનીય ઇન્ડેક્ષના આધારે કોલસાના ભાવની ગણતરી કરવામાં આવશે તેમજ પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે થશે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થતા ઘટાડાનો લાભ લોકોને મળશે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

1-12-2018નો ઠરાવ ગુજરાતમાં સ્થિત આયાતી કોલસા આધારિત ત્રણ વીજ પ્રોજેક્ટ માટે હતો. જે અંતર્ગત કોલસાની ખરીદી માટે ચાર પાવર પરચેઝ કરાર કરવામાં  આવ્યા હતા. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો  કરાર હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરાયો નહોતો.