કોરોનાકાળ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમા ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. 


કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે , આવા હોટલ , રીસોર્ટ્સ , રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.


રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.80  ટકા છે.



રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.80 ટકા છે.