અમદાવાદઃ બુધવાર રાતથી અચાનક પવનની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે ગુજરાતીઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. જોકે પવનની ગતિ પણ બહુ છે. હવે ઉત્તરાયણના ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ તૈયારી કરી રહ્યાં છે.


પરંતુ ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની રસિયાઓ રાહ જોતાં હોય છે. જોકે પતંગ રસિયાઓ માટે ખુશીની સમાચાર સામે આવ્યાં છે કે ઉત્તરાયણના દિવસે પવનની દિશા ઉત્તર તરફની રહેશે અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે તે દિવસે પવન મધ્યમ રહેશે.

મહત્વની વાત એ છે કે, ગુરૂવારે પવનની ગતિ અને ઠંડીએ જોર વધુ પકડ્યું છે પરંતુ ઉત્તરાયણના દિવસે ઠંડી અને પવનની ગતિ મધ્યમ રહેશે. જો મધ્યમ પવન હોય તો પતંગ ઉડાળવવા માટે સારો કહેવાય છે. લો લેવલ પર 15થી 20 કિલોમીટરની ઝડપે પ્રતિકલાકે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું છે.

ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાશે અને ત્યાર બાદ પવનની દિશા બદલાશે. એટલે કે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.