દ્વારકાઃ બેટદ્વારકામાં પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. પતિએ પત્નીની હત્યા કર્યા પછી લાશ ઘરમાં જ ખાડો કરીને દાટી દીધી હતી. તેમજ ત્યાં અગરબત્તી કરીને બેસી ગયો હતો. આ સમયે જ ઘરના અન્ય સભ્યો આવી જતાં પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દીધી હોવાનો ખુલાસો થયો હતો અને પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, બેટદ્વારકામાં રહેતા 50 વર્ષીય સાલેમામદ ચમડીયાએ કોઈ કારણસર પોતાની પત્નીની હત્યા કરી નાંખી હતી. આ પછી પોતાના રૂમની ટાઇલ્સ તોડી ખાડો કરી ત્યાં જ લાશ દાટી દીધી હતી. તેમજ ત્યાં અગરબત્તી કરીને બેસી ગયો હતો. આ સમયે જ પરિવારના અન્ય સભ્યો આવતાં આ દ્રશ્ય જોઇ ચોંકી ઉઠ્યા હતા. તેમણે આ અંગે સાલેમામદની પૂછપરછ કરતા તે ભાંડો ફૂટી જવાની બીકે ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાંથી અવાજ આવતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. તેમજ ઘરમાં તૂટેલી ટાઇલ્સ અને ખાડો જોઇ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

બીજી તરફ કોઈએ ઓખા મરીન પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ખાડામાંથી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે હત્યારા પતિની શોધખોળ હાથ ધરી છે. સાલેમામદ ચમડીયાને પત્ની સાથે અવારનવાર ઝઘડા થતાં હતાં. આ ઝઘડામાં જ પત્નીની હત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, તપાસ પછી સાચી હકિકત સામે આવશે. તેમને પરીવારમાં પુત્ર, પુત્રવધૂ તેમજ પૌત્ર હોવાનું જાણવા મળ્યું છે.